Untitled

સમજણ વિના રે સુખ નહીં જંતને રે;

વસ્તુગતિ કેમ કરી ઓળખય ?

આપમાં વસે છે આપનો આતમા રે,

તેણે કાંઈ જીવપણું નવ જાય. . સમજણ..



રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે,

અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;

રુદે કવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે,

થનાર હોય તે સહેજે થાય.. સમજણ..



જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે,

ભોજન કહેતાં ન ભાંગે ભૂખ;

પ્રેમરસ પીતા રે તૃષ્ણા તુરત ટળે રે,

એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.. સમજણ..



પારસમણિ વિના રે જે પથરા મળે રે,

તેણે કાંઈ કાંચન લોહ ન થાય;

સમજણ વિના રે જે સાધન કરે રે,

તેણે કાંઈ જીવપણું નવ જાય. . સમજણ..



દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે,

એને લઈ રૂમાં જો અલપાય;

એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે,

રતી એક સાચે પ્રલય જ થાય. . સમજણ..



જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,

એ તો વાણીરહિત છે રે વિચાર;

જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,

કહે અખો ઊતર્યા પેલે પાર. . સમજણ..

Rate this poem: 

Reviews

No reviews yet.